ભાવનગરના આ સરપંચે જે કર્યું તે કૃષ્ણકુમારસિંહજીની યાદ જરૂર અપાવી દેશે.
- Advertisement -
જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે ભાવનગર હંમેશા આગળ આવ્યું છે. પછી એ વાત આઝાદી પછી એક ભારત અખંડ ભારત બનાવવાની હોય કે પછી કોરોના સામે લડવાની હોય. દેશને એક કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું 1800 ગામનું રજવાડું દેશને સમર્પિત કરી દીધું. હવે આજે જ્યારે દેશને કોરોના સામે લડવાની જરૂર પડી છે ત્યારે એવા જ એક ભાવનગર જિલ્લાના નાનકડા ગામના સરપંચે પણ પોતાના પૂર્વજની જેમ જ પોતાનું સર્વસ્વ દેશ માટે ન્યોછાવર કરી દીધું છે. આવો જાણીએ સંપૂર્ણ વિગત.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્તી ધરાવતું તાવેડા નામનું એક ગામ છે. આ ગામના સરપંચ શ્રી દાનાભાઈ આહીરે લોકડાઉનના આ સમયમાં પોતાના ગામના ગરીબ માણસો માટે એવું કામ કર્યું છે કે જે જાણીને આપણને થાય કે સરપંચ હોય તો આવા…
- Advertisement -
કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લેવાયો ત્યારથી દાનાભાઈને ગામના રોજે રોજનું કમાઈને ખાનારા ગરીબ માણસોની ચિંતા થતી હતી. ગામના એકપણ માણસને તકલીફ ન પડે એ જોવાની નૈતિક ફરજ ગામના સરપંચની છે એવું માનતા દાનાભાઈ સતત એ વિચારતા કે મારા ગામના ગરીબ માણસો માટે હું શું કરી શકું ?
- Advertisement -
દાનાભાઈને મદદ કરવાની બહુ ઈચ્છા થાય પણ પોતાની પાસે કોઈ રકમ નહોતી. બીજા પાસેથી માંગીને મદદ કરવા એનું મન માનતું નહોતું. એકદિવસ ઘરના તમામ ઘરેણાં લઈને બેંકમાં પહોંચી ગયા. પોતાના બધા ઘરેણાં ગીરવે મૂકીને બેન્ક પાસેથી લોન લીધી. બેંકે આ ઘરેણાં પર 9.5 લાખની લોન આપી. દાનાભાઈએ આ રકમમાંથી ગામના ગરીબ માણસોને જીવનજરૂરિયાતની વસ્તુઓ વહેંચી અને જેને રોકડ સહાયની જરૂર હતી એને રોકડ આપી.
7.5 લાખ ગામના ગરીબ અને જરૂરિયાતમંદ માણસોને વહેંચી દીધા અને હજુ 2 લાખ પોતાની પાસે રાખ્યા છે જેથી કોઈને જરૂર પડે તો આપી શકાય. આ મરદ માણસે પોતાના ઘરના બધા ઘરેણાં ગીરવે મૂકીને બીજાના ઘરના ચૂલા સળગતા રાખવાનું સેવાકાર્ય કર્યું છે.
કોરોના ખાલી મુસીબતો જ નથી લાવ્યો પણ દાનાભાઈ આહીર જેવા કેટલાય સજ્જન માણસોની ખાનદાની અને ખુમારી પણ બહાર લાવ્યો છે.
- Advertisement -