સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને કોંક્રિટ ઇન્ડિયા સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે જોબ વિ. બીઝનેસ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન થયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ-ભાવનગર તથા કોંક્રિટ ઇન્ડિયા યુથ સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે જોબ વિ. બિઝનેસ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તા.૨૭મી ઓક્ટોબર, 2018નાં રોજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ-ભાવનગર ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ થકી ઉદ્યોગસાહસિક અને નોકરિયાત વચ્ચેનો તફાવત, બન્નેનાં લક્ષણો, બન્નેમાં ભવિષ્યની તકો, બન્નેની સકારાત્મક અને નકારાત્મક બાબતો, પોતાના માટે ક્યો માર્ગ શ્રેષ્ઠ?, પોતાની શક્તિ અને નબળાઈને કેમ ઓળખવી? જેવા વિવિધ વિષય પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સેમિનારમાં સ્નાતક કક્ષાનાં ૮૦ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં જાણીતા મેનેજમેન્ટ અને સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી ભરતભાઈ વાઘેલા, ઓટોકોન ઇન્સ્ટ્રૂમેન્ટ્સનાં ફાઉંડર શ્રી પાર્શ્વદ વોરા દ્વારા અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગરનાં સેક્રેટરીશ્રી કિરીટભાઈ સોની તથા કોંક્રિટ ઇન્ડિયા યુથ સોસાયટીનાં ચેરમેન શ્રી વિમલભાઈ નવાપરિયા મહેમાન પદે ઉપસ્થિત રહ્યાં.
કાર્યક્રમમાં કોલેજકાળ દરમિયાન પોતાના મનગમતા કારકિર્દીનાં ક્ષેત્રમાં કેવી રીતે તૈયારીઓ કરી ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓનાં કારકિર્દીને લગતી મુંજવણો અને પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું.
કોંક્રિટ ઇન્ડિયા યુથ સોસાયટી દ્વારા યુવાનો અને ખેડૂતોનાં આત્મવિકાસ અને સશક્તિકરણ માટેનાં વિવિધ કાર્યક્રમોનું સતત સુચારું આયોજન કરવામાં આવે છે. જેને અંતર્ગત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગર સાથે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાનો ઉદેશ્ય યુવાનો જાતે પોતાની તકલીફો સમજી, જરૂરિયાતો સમજી તેનું સમાધાન શોધી, વિવિધ સંસ્થાઓ અને વિદ્વાનોની મદદથી આત્માવલોકન અને આત્મવિકાસ કરે તેવું કલ્ચર વિકસિત કરવાનો છે.