શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત, સરકારી-ખાનગી યુનિવર્સિટીમાં લેવાશે ફરજિયાત પરીક્ષા.
- Advertisement -
રાજ્યની સરકારી અને ખાનગી એમ તમામ યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. આજે કોરોના કોવિડ 19 સંદર્ભે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીનાએ લોકજાગૃત્તિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા કરેલી સમીક્ષા માટે ગાંધીનગરથી યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવે, ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર નટરાજન પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં સ્કૂલો, કોલેજો અને શૈક્ષિણક સંસ્થાઓમાં અભ્યાસ અને પરીક્ષાની કામગીરી રોકી દેવામાં આવી હતી.
યુજીસીએ ટાસ્કફોર્સની રચના કરી
શિક્ષણમંત્રીએ કુલપતિઓને પરીક્ષા અંગે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા ટાસ્કફોર્સની રચના કરી છે. તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આગળ વધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા કઈ રીતે લેવી તેના સૂચનો સત્વરે મોકલી આપવા અપીલ કરી હતી. સ્ટાર્ટઅપના માધ્યમથી ઘર, ઓફિસ અને વાહનોમાં સેનિટાઈઝેશનની વ્યવસ્થા આપોઆપ થઈ જાય તેવા સંશોધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોરોનાનો પડકાર
ચુડાસમાએ કોરોનાના કારણે ઊભી થયેલી સ્થિતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ એક પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલીમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ કરવા કુલપતિઓને આહવાન કર્યુ હતું. કોરોનાએ દુનિયામાં વહેવાર અને વહીવટની પધ્ધતિ બદલી નાંખી છે. હવે જીવન પધ્ધતિ અને જીવનશૈલી પણ બદલી પડશે. અગાઉની આફતો દ્રશ્ય આફતો હતી, આ આફત અદ્રશ્ય હોવાછતાં પણ સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા અને વહીવટીતંત્ર હિંમતભેર સામનો કરી રહી છે.
આપત્તિ અવસરમાં બદલો
શિક્ષણરાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, આપણા માટે આ આપત્તિને અવસરમાં બદલવાનો સમય છે. આ સમયમાં આપ સૌ સહિત રાજ્યના શિક્ષણ વિભાગે ટેક્નોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી કામ કર્યું છે. તેનું પરિણામ આગામી દિવસોમાં આવશે.
- Advertisement -
- Advertisement -